સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે ધરતી પુત્રો સહિત આમ પ્રજાને રાહત થઈ છે ત્યારે શનિવારે દિવસ દરમિયાન વિજયનગર તાલુકામાં 01 મીમી, ઈડરમાં 09, હિંમતનગરમાં 04, પ્રાંતિજમાં 06 અને તલોદ તાલુકામાં 11 મીમી વરસાદ પડયા બાદ વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી ગયું હતું. જોકે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાણી ભરાતાં અનેક વિસ્તારોમાં માંખી, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 45 મિમી, વિજયનગરમાં 14 મિમી, વડાલીમાં 55 મિમી, ઇડરમાં 66 મિમી, હિંમતનગરમાં 27 મિમી, પ્રાંતિજમાં 56 મિમી, તલોદમાં 87 મિમી અને પોશીનામાં 41 મિમી વરસાદ નોંધાયો હતો.
સતત પડી રહેલા વરસાદને કારણે ખેડબ્રહ્મા તાલુકામાંથી પસાર થતી હરણાવ નદીના ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ હતી. હરણાવ નદી વિજયનગરથી આગળ જઈને સાબરમતી નદીને મળે છે ત્યારે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારો માટે આર્શીવાદરૂપ ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. જેથી ખેડબ્રહ્મામાં રહેતા લોકોએ પાણીના વધામણાં કર્યા હતા. શુક્રવારે રાત્રે પ્રાંતિજમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા. દરમિયાન શુક્રવારે રાત્રે હિંમતનગરના બેરણા રોડ પર વરસાદને કારણે ભુવો પડતાં એક કાર તેમાં ફસાઈ ગઈ હતી. ધરોઈ જળાશયમાં પાણીની આવક શરૂ થતાં હાલ ધરોઈ ડેમ 45 ટકા ભરાયો છે અને ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. તો બીજી તરફ ડીઝાસ્ટર વિભાગના સૂત્રોના જણાવાયા મુજબ, શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં તમામ તાલુકાઓમાં સરેરાશ 2 મીમીથી અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. સીઝનમાં કુલ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં અંદાજે 357 મીમી, પ્રાંતિજમાં 345 મીમી, હિંમતનગરમાં 253, ઈડરમાં 174, વડાલીમાં 130, વિજયનગરમાં 235, ખેડબ્રહ્મામાં 110 અને પોશીના તાલુકામાં 180 મીમી વરસાદ પડી ચૂકયો છે.
